
છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે સવારે રાજ્યના કેટલાક તાલુકાઓમાં 1 ઈંચ સુધી વરસાદ પડ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ (Rain) વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ કાળાં ડિબાંગ વાદળો સાથે શહેરના થલતેજ, એસજીહાઇવે, બોપલ, જુહાપુરા, વેજલપુર, શિવરંજની સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ગુજરાતના મોટાભાગના શહેરોમાં વરસાદ
બીજી તરફ વડોદરામાં પણ અનરાધાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યાં છે. વડોદરાના રાવપુરામાં રસ્તાઓ પર ગોઠણસમાં પાણી ભરાતા વાહચાલકો પરેશાન બન્યા છે. આથી વરસાદે મનપાની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. જ્યારે નડિયાદમાં 3 કલાકમાં 4 ઈંચ વરસાદખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ઉલ્લેખનીય છે કે, 25મી જૂન અને રવિવારથી ગુજરાતમાં વિધિવત્ ચોમાસું બેઠું છે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તારીખ 26, 27, 28, 29 અને 30નો સમાવેશ થાય છે. ભારે વરસાદના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયું છે.
ખેડા જિલ્લામાં આજે મેઘરાજા મનમુકીને વરસ્યા છે. નડિયાદ સહિત સમગ્ર પંથકમાં સારો વરસાદ પડ્યો છે. સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં આનંદોત્સવ રેલાયો છે. નડિયાદમાં પડેલા વરસાદને લઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત રેલવેના ચારેય અંડરબ્રીજ પાણીથી છલોછલ થઇ ગયા હતા. જેના કારણે નડિયાદ બે ભાગમાં વહેંચાઈ ગયુંહતું. ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે નડિયાદ પાલિકાનું પ્રી મોનસુન પ્લાન કાગળ પર જ જોવા મળ્યું તેવો ચિતાર જોવા મળ્યો હતો. વરસાદની રાહ જોતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 125 તાલુકામાં વરસાદ
રાજ્યના સ્ટેટ ઈમર્જન્સી સેન્ટર તરફથી મળેલા રાજ્યમાં વરસેલા છેલ્લા 24 કલાકના આંકડા મુજબ રાજ્યમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ વલસાડના ઉમરગામમાં નોંધાયો છે. ભાવનગરના ઘોઘામાં 3 ઈંચ તથા ભરૂચ, સુરેન્દ્રનગરના સાયલા અને રાજકોટના ધોરાજીમાં 2-2 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અમરેલી, જૂનાગઢના ભેંસાણ, ગીરસોમનાથના વેરાવળ, ભાવનગર, સુરતના માંગરોળ, ભરૂચના વાગરા, વલસાડના વાપીમાં પણ 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ગીરસોમનાથના ગીર ગઠડા, સુત્રાપાડા અને કોડિનાર, ભરૂચના અંકલેશ્વર, બોટાદ, રાજકોટના ગોંડલ, ભાવનગરના સિહોર, જૂનાગઢ શહેર અને તાલુકામાં દોઢ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે રાજકોટ, અમરેલીના બાબરા અને અરવલ્લી મોડાસામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો વલસાડના કપરાડામાં એક ઈંચ વરસાદ પડ્યો છે.
જૂનાગઢના ભેંસાણમાં 17 મિમી, રાજકોટના ધોરાજી અને વલસાડના ઉમરગામમાં 15-15 મિમી, પોરબંદર, નવસારીના ગણદેવી, વલસાડના પારડી અને દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં 14-14 મિમી વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના કપરાડામાં 12 મિમી વરસાદ થયો છે. તો જૂનાગઢના માળિયા હાટીનામાં 9 મિમી, જૂનાગઢના વંથલી અને અમરેલીના બગસરામાં 8-8 મિમી, પોરબંદરના રાણાવાવ અને જૂનાગઢના માંગરોળમાં 7-7 મિમી વરસાદ નોંધાયો છે. જૂનાગઢ તાલુકા અને શહેર તથા ગીરસોમનાથના પાટણ વેરાવળમાં 5-5 મિમી વરસાદ પડ્યો છે. જૂનાગઢના માણાવદર-કેશોદ અને સુરતના કામરેજમાં 4-4 મિમી વરસાદ છે. અમરેલીના રાજુલા અને વલસાડમાં 3-3 મિમી, રાજકોટના જામકંડોરણા, સુરતના બારડોલી, નવસારીના જલાલપોર અને વલસાડના ધરમપુરમાં 2-2 મિમી વરસાદ નોંધાયો છે. તો ભરૂચના ઝઘડિયા, નવસારીના ખેરગામ અને ગીર સોમનાથના ઉનામાં 1-1 મિમી વરસાદ પડ્યો છે.
5 દિવસ ભારે વરસાદની આગાહી
આજથી 5 દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 27 જૂને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ચોમાસાની ગતિવિધિઓ સક્રિય થઈ છે. 28થી 30 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનના અંતમાં ધમાકેદાર વરસાદ ખાબકશે. અમદાવાદ તેમજ મહેસાણામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં ઊભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 5 દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત, ઉત્તર-મધ્ય, પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. આહવા, ડાંગ અને વલસાડના ભાગોમાં વરસાદ વરસાદ વરસી શકે છે. જુલાઈ 5 સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. જે ચોમાસાનો વિધિવત્ વરસાદ હશે.